વાચકોની ક્લિક્સ

Followers

Popular Posts

Powered by Blogger.
Saturday 2 May 2020

Bluffs by Rajiv Dixit on Nehru-Edwina-Jinnah
September 09, 2017   
Published in Gujarat Samachar-London and Divya Bhaskar Daily
Some of the fb friends were unable to read my year 2015's article on the bluffs by Rajiv Dixit and requested me to share readable copy.Here it is and even on my blog : haridesai.blogspot.com

અતીતથી આજ 

--------
• સેવાગ્રામમાં રહી દેશભરમાં જુઠ્ઠાણાં ઓકતા રહેલા રાજીવ દીક્ષિત કહે છેઃ લંડનની હૅરિસ કૉલેજમાંની સહાધ્યાયી પ્રેમીત્રિપુટી નેહરુ, ઝીણા અને ઍડવિના થકી ભારતના ભાગલા !
• હકીકતમાં માઉન્ટબેટનની પત્ની ઍડવિના ક્યારેય કૉલેજ ગયાં નથી, નેહરુ ટ્રિનિટી કૉલેજ અને ઈનર ટૅમ્પલમાં ભણ્યા; જ્યારે મેટ્રિક નહીં થયેલા ઝીણા લિંકન્સ ઈનમાંથી બૅરિસ્ટર થયા હતા
-------
આજકાલ સોશિયલ મીડિયામાં ઐતિહાસિક ઘટનાઓને લોકપ્રિય વાઘા ચડાવીને એવી ગળચટી રીતે મૂકવામાં આવે છે કે એને વાંચનારા બીજાને ફૉરવર્ડ કરવાની હોંશ દાખવતાં એની સચ્ચાઈનું નીરક્ષીર કરવાનું ભાગ્યેજ વિચારે છે. ઈન્ટરનેટ માધ્યમ ખૂબ બળૂકુ છે, પણ એ રાહુલ ગાંધી કે પછી ફિરોઝવરુણ સંજય ગાંધીના પૂર્વજોને કાશ્મીરી પંડિત કે ભરૂચના પારસી ગણાવવાને બદલે મુસ્લિમ ગણાવવા સુધીની વિકૃત વિગતો પીરસે છે. બેઉ પિતરાઈ અનુક્રમે કૉંગ્રેસી અને ભાજપી સાંસદ છે, પરંતુ એમના પૂર્વજોથી લઈને એમની શૈક્ષણિક પદવીઓ સુધીની બાબતોમાં વિકૃત અટકચાળા રીતસર અધિકૃત દર્શાવવાની કોશિશ સમાન જોવા મળે છે. સોશિયલ મીડિયામાં રીતસરની ગાળો(ફોરલેટરવડર્‌સ)નું ચલણ પણ બિચારા ઍડિટરોની નજર ચુકવીને બેફામ બની રહ્યું હોય ત્યારે સત્યશોધકોએ કેવી કેવી સાવધાની રાખવી એ સૌથી મોટો પડકાર છે. 
આઝાદી બચાવો આંદોલનવાળા સ્વ.રાજીવ દીક્ષિતની અનેકોને ખુલ્લા પાડનારી અને હાઉસ ઑફ કૉમન્સ તથા હાઉસ ઑફ લૉર્ડસના દસ્તાવેજોના નામે ઝીંકે રાખનારી વ્યાખ્યાનશ્રેણીમાંના એક વ્યાખ્યાનને યુ-ટ્યૂબ પર સાંભળવાનો હમણાં પ્રસંગ આવ્યો. વ્યક્તિગત રીતે અમે રાજીવ દીક્ષિત અને એમણે રજૂ કરેલાં બણગાંથી પરિચિત હોવાથી કુતૂહલવશ ‘નેહરુ ડાઈડ ઑફ એઈડ્‌સ’વાળું એમનું વ્યાખ્યાન સાંભળ્યું, ત્યારે અમારા ૯પ વર્ષીય વડીલ મિત્ર પ્રા.નગીનદાસ સંઘવીના શબ્દોનું સ્મરણ થઈ આવ્યું. રાજીવના મુંબઈ ખાતે કાંદીવલીના જૈન ઉપાશ્રયમાંના વર્ષોપૂર્વેના વ્યાખ્યાનના અધ્યક્ષસ્થાને આ લખનાર હતો અને રાજીવનાં વ્યાખ્યાનોની સૌપ્રથમ કેસેટમાં એ જ વ્યાખ્યાન કંડારાયેલું હતું. રાજીવની એ પછી પ્રકાશિત અને અમારા ઘરે જ લેવાયેલી મુલાકાત વાંચીને ઈતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક રહેલા કટારલેખક સંઘવીએ કહ્યું હતુંઃ ‘ રાજીવ તો ૧૦૦ વર્ષ પહેલાં ગુજરી ગયેલી વ્યક્તિને ૧૦૦ વર્ષ પછી જન્મેલી વ્યક્તિ સાથે મુલાકાત કરાવે છે.’ જોકે રાજીવની વાકછટા એવી હતી કે એ ઉપજાવી કાઢેલાં તથ્યોને એવી ગળચટી શૈલીમાં રજૂ કરે કે ત્રણ કલાક સુધી કોઈ શ્રોતા આઘોપાછો થવાનું નામ ના લે. નવેમ્બર ર૦૧૦માં રાજીવનું છત્તીસગઢના ભીલાઈ ખાતે હ્ય્દયરોગના હુમલથી અવસાન નીપજ્યું ત્યારે એનું આળ બાબા રામદેવ પર નાંખવાનો પ્રયાસ થતો રહ્યો હતો. રાજીવે રામદેવને પણ ઍકસ્પોઝ-શ્રેણીમાં આવરી લીધા હતા. આ યોગગુરુએ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે રાજીવ હકીકતમાં હ્ય્દયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છતાં એક કૉંગ્રેસીનેતા આ પ્રકરણ સાથે મારું નામ જોડવા માંગે છે. રામદેવે એ કૉંગ્રેસીનેતાનું નામ ક્યારેય જાહેર કર્યું નહોતું.
રાજીવ દીક્ષિતનાં તમામ વ્યાખ્યાનોમાં રજૂ થયેલી બાબતો ચકાસવાની અને એમને ઐતિહાસિક તથ્યોની એરણે નાણી જોવાની આવશ્યકતા હોવાનું અમને નેહરુ-ઝીણા-ઍડવિના વિષયક ઉપરોક્ત વ્યાખ્યાન પરથી વર્તાયું હતંુ. નેહરુને ઍડવિનાએ એઈડ્‌સનો સંપર્ક કરાવ્યાનો દાવો કરનાર રાજીવ દીક્ષિત ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે તત્કાલીન બ્રિટિશ વાઈસરૉય અને પાછળથી ગવર્નર-જનરલ થયેલા લૉર્ડ લુઈસ માઉન્ટબેટનની પત્ની ઍડવિના માઉન્ટબેટનને નિર્ણાયક પરિબળ ગણાવે છે. ઍડવિના સાથેના નેહરુના ‘પ્લૅટોનિક લવ’ની વાત તો જાણીતી છે. નેહરુ-ઍડવિના સાથે મળીને ધૂમ્રપાન કરતાં હોવાની અને એમની વચ્ચેની મૈત્રીની વાત અજાણી નથી, પરંતુ રાજીવના કહેવા મુજબ ઍડવિના એટલી ચાલાક હતી કે લંડનમાં હૅરિસ કૉલેજમાં તેના બે સહાધ્યાયી પંડિત જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાને એકસાથે નચાવતી હતી. માઉન્ટબેટનને ભારત મોકલવાનું નક્કી થયું એના થોડા સમય પહેલાં જ બ્રિટિશ ગુપ્તચર સંસ્થાએ ઍડવિના સાથે લુઈસ(ડિકી)નાં ‘નામકે વાસ્તે’ લગ્ન કરાવી દીધાં. એ બેઉ જણે ક્યારેય એક રાત શયનખંડના પલંગ પર સાથે ગુજારી નહીં હોવાનો પણ દીક્ષિતનો દાવો હતો.
માનસિક રીતે બીમાર વ્યક્તિ આવા ગપગોળા ચલાવે તો હજુ સમજી શકાય, પણ રાજીવ જેવો ઍમ.ટૅક. થયેલો અને વિજ્ઞાની રહેલો યુવક ‘દસ્તાવેજ બતાતે હૈં’ કે પછી પોતાના ગાંધીવાદી ગુરુ અને ઇતિહાસકાર ધરમપાલના અભ્યાસનો આધાર લઈને તથ્યો પ્રકાશમાં લાવવાનો દાવો કરતો હોય ત્યારે શું કહેવું? ઉત્તરપ્રદેશના અલીગઢ પાસેના ગામમાં જન્મીને ૪૩ વર્ષની વયે મૃત્યુ સમયે ગાંધીજીના સેવાગ્રામમાં રહીને આઝાદી બચાવો આંદોલનથી લઈને ભારત સ્વાભિમાન આંદોલન સુધીના કાર્યક્રમો હાથ ધરતા રહેલા સ્વદેશીના સૂત્રધાર રાજીવની વાતોને નીરક્ષીર કરવાની જરૂર ખરી. 
હકીકતમાં નેહરુ, ઝીણા અને ઍડવિના એક જ કૉલેજમાં સહાધ્યાયી હતાં અને બેઉને ઍડવિના નચાવતી હતી એ નર્યું જુઠાણું છે. હૅરોની શાળા પછી નેહરુ કૅમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ભણ્યા. નેચરલ સાયન્સીસમાં સ્નાતક થયા પછી તેમણે ‘ઈનર ટૅમ્પલ’માંથી બૅરિસ્ટરની પદવી મેળવી હતી. ઝીણા તો મેટ્રિક પણ નહોતા થયા. લંડન ધંધાર્થે જ ગયા હતા અને ત્યાં બૅરિસ્ટર થવાનું સૂઝયું એટલે ખાસ મંજૂરી લઈને ‘લિંકન્સ ઈન’ માંથી તેમણે બૅરિસ્ટરની પદવી મેળવી. સ્ટેન્લી વોલ્પર્ટ જ નહીં, સલીમ કુરેશીએ પણ ઝીણાના જીવન વિશે પ્રકાશિત કરેલા ગ્રંથો સ્પષ્ટ કરે છે કે ઝીણા ક્યારેય લિંકન્સ ઈન સિવાય લંડનમાં અન્યત્ર ભણ્યા નથી. ઍડવિના ક્યારેય કોઈ કૉલેજમાં ભણવા ગઈ જ નથી!
ઍડવિના સિન્થિયા ઍનેટી ઍશલે તો કૉન્ઝર્વેટિવ મૅમ્બર ઑફ પાર્લામેન્ટ રહેલા વિલ્ફ્રેડ વિલિયમ ઍશલેની સૌથી મોટી દીકરી હતી. એને નાના તરફથી પણ બેસુમાર દોલત વારસામાં મળી હતી. આ ઍડવિનાનાં લગ્ન હજારો લોકોની હાજરીમાં ૧૮ જુલાઈ ૧૯રરના રોજ, રાજવી પરિવારના મહાનુભાવોની પણ ઉપસ્થિતિમાં, લુઈસ માઉન્ટબેટન સાથે થયાં હતાં; લૉર્ડ માઉન્ટબેટને ર૦ માર્ચ ૧૯૪૭ના રોજ ભારત આવવાનું હતું એના થોડા વખત પહેલાં નહીં ! લૉર્ડ અને લેડી માઉન્ટબેટન ભારત આવ્યાં ત્યારે ૧૯ર૯માં જન્મેલી તેમની નાની દીકરી પમેલા પણ સાથે આવી હતી. મોટી દીકરી પૅટ્રિશિયા ૧૯ર૪માં જન્મી હતી. 
લૉર્ડ અને લેડી માઉન્ટબેટનની નાની દીકરી પમેલાએ આત્મકથામાં પોતાની માતાના નેહરુ સાથેના પ્રેમસંબંધોની વાત ખૂબ મોકળાશથી લખ્યા છતાં બંને વચ્ચે ક્યારેય સેક્સ સંબંધ બંધાયાનું નકાર્યું છે. રાજીવ દીક્ષિતે કોણ જાણે ક્યાંથી શોધી કાઢ્યું કે ઍડવિનાએ નેહરુને એઈડ્‌સની ભેટ આપી હતી. નેહરુને એઈડ્‌સ ભેટમાં મળ્યો તો પછી ઝીણાને ટીબી કેમ? 
ભારતના વિભાજન માટે ઍડવિનાએ નેહરુ અને ઝીણા બેઉ સાથેની અશ્લીલ તસવીરોને આગળ કરીને ‘સહી કરો નહીં તો ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાવી દઈશ’ એવી ધમકી આપી બેઉને બ્લેકમેઈલ કરીને ભાગલા માટેના દસ્તાવેજ પર સહીઓ કરાવી લીધાનાં ચમત્કારિક તથ્ય રાજીવ દીક્ષિત આગળ ધરે છે. હકીકતમાં રાજીવ જે તારીખે ઍડવિનાએ નેહરુના હસ્તાક્ષર કરાવ્યાનું કહે છે(૩ જુલાઈ ૧૯૪૭) એ પૂર્વે તો સરદાર વલ્લભભાઈ પટેલે વી.પી.મેનનની ભાગલાની યોજના માઉન્ટબેટન મારફત કબૂલ રાખી હતી. ૩ જૂન ૧૯૪૭ના રોજ તો લૉર્ડ માઉન્ટબેટને સત્તાવાર રીતે ભાગલાથી ભારત સંઘ તથા પાકિસ્તાન સંઘ થશે અને દેશી રાજ્યો બંનેમાંથી કોઈ એક સાથે જોડાઈ શકે અથવા સ્વતંત્ર રહી શકે તેના નિર્ણય અંગેની ઘોષણા કરી હતી. ર જૂન ૧૯૪૭ના રોજ કૉંગ્રેસના મુખ્ય નેતાઓ મળ્યા હતા અને તેમણે ભાગલાને કબૂલ રાખ્યા હતા. એટલે ઍડવિનાએ વિષકન્યાની જેમ નેહરુ અને ઝીણાને વશ કર્યા અને કામ કઢાવી લીધું એ માનવા જેવો ઘટનાક્રમ નથી. દીક્ષિત નાટકીય રીતે કાલ્પનિક વાતોને મૂકે છે. એ કહે છે કે ગાંધીજી સમક્ષ ઝીણા ઍફિડૅવિટ કરવા તૈયાર હતા કે મને ઍડવિનાએ બ્લેકમેઈલ કરીને સહી લીધી હતી. નેહરુએ તો ગાંધીજીને ઉત્તર વાળ્યો નહોતો. નેહરુ અને ઝીણાની દુશ્મની ઍડવિનાને કારણે હોવાનું રહસ્યોદ્‌ઘાટન દીક્ષિત રજૂ કરે છે. 
વચનેષુ કિમ દારિદ્રમ્‌’ એટલે કે વચનોની લહાણી કરવામાં વળી મણા શા માટે રાખવી? એવી ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. લગભગ એવી જ વાત રાજીવ દીક્ષિતપ્રેરિત ઈતિહાસનાં અસત્ય કથનોની બાબતમાં કહી શકાય. રાજીવ દીક્ષિત કહે છે કે ‘‘ઝીણા અને તેમના લીગી સાથી સોહરાવર્દીને અંગ્રેજો ખર્ચ કરવા માટે લાખો રૂપિયા આપતા હતા ! વળી ઝીણાને કોઈ મુસલમાનના નેતા ગણતું જ નહોતું. એકવાર લાહોરમાં ઝીણાનું મોંઢું કાળું કરાયું હતુું અને તેમને ગધેડે બેસાડીને ફેરવવામાં આવ્યા હતા!’’ આ રાજીવ દીક્ષિતબ્રાન્ડ કથનનો કોઈ દસ્તાવેજી હવાલો અમને તો કમસેકમ મળતો નથી. 
હિંદુરાષ્ટ્રના વિચારને ગાંડાઓનો ખ્યાલ ગણાવતા રહેલા સરદાર પટેલના નામે ફરતા થયેલા વૉટ્‌સઅપ સંદેશાઓમાં નેહરુ ભારતને ધર્મનિરપેક્ષ(સૅકયુલર) રાખવાનો આગ્રહ કરે છે ત્યારે સરદાર ભારતને હિંદુઓનો દેશ ગણાવી રહ્યાની ‘હંબગ’ વાતો આજની તથ્યોની ચકાસણી કર્યા વિના માની લેવા ટેવાયેલી પેઢી માટે સોનેરી સત્ય બની જાય છે. એ કહે છેઃ ‘જોયું? સરદાર સાહેબ તો હિંદુનેતા હતા!’ સરદાર જેવા મહાન નેતાને માટે આવી ઓળખ માન બક્ષે છે કે અપમાન, એનો વિચાર કરવાની ઘડી આવી પહોંચી છે. 

Thursday 30 April 2020

·         ભારતરત્નના ઘૂઘરે રમવાની રાજકીય કવાયત
·         મહાત્માએ આંદામાનમાં  તપશ્ચર્યાને વખાણી
·         રત્નાગિરી ટિળકનું જન્મગ્રામ હોવાથી તીર્થક્ષેત્ર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (૨ ઓક્ટોબર ૧૮૬૯- ૩૦ જાન્યુઆરી ૧૯૪૮) અને સ્વાતંત્ર્યવીર સાવરકર (૨૮ મે ૧૮૮૩-૭ ફેબ્રુઆરી ૧૯૬૬) આજકાલ ભલે વિવાદ વંટોળ જગાવાતા હોય, હકીકતમાં આ બંને મહામાનવ વચ્ચેની મુલાકાતો કેવી હૂંફભરી હતી એ ભણી ભાગ્યેજ કોઈનું ધ્યાન જાય છે. અત્યારે મતનાં તરભાણાં ભરવા માટે ઉપરછલ્લી કે અનુકૂળ માહિતીના જોરે રાજકીય મંચ પર એકમેકની સામે બાંયો ચડાવીને કે તલવારો તાણીને ગાંધી વિરુદ્ધ સાવરકરની કવાયત ચાલતી રહે છે ત્યારે સત્ય અને તથ્યનો ભોગ લેવાવો સ્વાભાવિક છે. ક્યારેક ગાંધીજીની હત્યાના પ્રકરણમાં સાવરકર આરોપી હતા, પણ એ છૂટી ગયા હતા. માત્ર અનુકૂળ ઇતિહાસના જોરે વર્તમાનમાં રાજકારણ ખેલવા જતાં કાયમ એ બરકત આપે જ એવું ના પણ બને. મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દી ઉજવીને કે સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન આપવાની માંગણીઓ કે ઘોષણાઓ કરવા માત્રથી વર્તમાન કે ભાવિ પેઢીનું કેટલું કલ્યાણ થઇ શકે એ મહત્વનો પ્રશ્ન તો ઊભો જ છે. મહાત્મા અને સ્વાતંત્ર્યવીરના વિચારો વર્તમાન કે ભવિષ્યમાં કેટલી ઉપયોગી થઇ શકે અને નવી પેઢીએ એમાંથી કેટલું અને કયા સંદર્ભમાં આચરણ કરવા જેવું છે; એનો વિચાર કે મનોમંથન કરવામાં ના આવે તો આવી સઘળી બાબતો માત્ર સાંકેતિક (સિમ્બોલિક) જ બનીને રહી જાય. ઇતિહાસના ઘટનાક્રમને માત્ર વાગોળ્યા કરવાથી વર્તમાન સુધરી જાય એવું માનવું નિરર્થક છે. સાવરકરને મહાત્મા ગાંધીએ પ્રખર દેશભક્ત ગણાવ્યા હોય કે શહીદ-એ-આઝમ ભગતસિંહ અને એમના બે સાથીઓની દેશભક્તિ સામે ગાંધીજી, સરદાર પટેલ, પંડિત નેહરુ સહિતનાએ ૧૯૩૧ના કરાંચી કોંગ્રેસના અધિવેશનમાં શીશ ભલે નમાવ્યું હોય; પણ સ્વાતંત્ર્ય માટેના એમના માર્ગ નોખા હોવાને કારણે હિંસાના માર્ગને  સ્વીકારવાની એમની તૈયારી નહોતી. સાવરકર અને ગાંધીજીના માર્ગ પણ નોખા હતા. સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ બંને સગા ભાઈ હોવા છતાં સરદાર આજીવન અહિંસાવાદી અને ગાંધીજીના પટ્ટશિષ્ય  રહ્યા, પણ ૧૯૩૩માં વિદેશની ધરતી પર મૃત્યુને ભેટેલા વિઠ્ઠલભાઈએ સુભાષબાબુ સાથેના સંયુક્ત નિવેદનમાં ગાંધીજીના નેતૃત્વને નિષ્ફળ લેખાવતાં અન્ય માર્ગોનો છોછ રાખ્યો નહોતો. જે સુભાષ બાપુ સાથે વાંધો પડતાં કોંગ્રેસ છોડી ગયા હતા, એ જ નેતાજીએ એ પછી સિંગાપુરથી મહાત્માને સૌ પ્રથમ રાષ્ટ્રપિતા કહ્યા હતા. ગાંધીજી હૃદય પરિવર્તનમાં માનતા હતા. એમના યુગના રાજનેતા કે સમાજનેતાઓ મતભેદ ધરાવનારાઓને દુશ્મન માનતા નહોતા. કોઈ સાવરકરને ભારતરત્ન આપવાનું ચૂંટણી ગતકડું રમે એટલે અન્યોએ ભગતસિંહને ભારતરત્ન આપવાનો ઘૂઘરો રમવો એ તો નરી બાલિશતા જ છે.મહાત્મા ગાંધીનું નામ  ચાર-ચાર વખત નોબેલ પારિતોષિક માટે સૂચવાયા છતાં એમને નોબેલ નહીં મળ્યાની વાતે  ગાંધીજીની અવગણના થઇ નથી; પણ લોકો નોબેલ પ્રાઈઝની વેબસાઈટને આજેય ફંફોસે છે કે મહાત્માને કેમ એ ના અપાયું? મહાત્મા કે સરદાર ભારતરત્નના મોહતાજ નહોતા અને નથી, એવું જ સાવરકર કે ભગતસિંહનું પણ છે. એ વિરાટ વ્યક્તિત્વોની ઊંચાઈને આંબવાનું આજે કોઇથી શક્ય નથી એટલે એમનાં અમુક પાસાં લઈને કે અમુક અધકચરાં અવતરણો લઈને જ રાજકીય ઉહાપોહ મચાવાય ત્યારે વર્તમાન વધુ વામણો ભાસે છે.
પહેલી જાહેર મુલાકાત
ચંદુભાઈ ભગુભાઈ દલાલ (સંગ્રાહક)ની અથાગ મહેનતથી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ દ્વારા ૧૯૭૬માં પ્રકાશિત ગાંધીજીની દિનવારીમાં નોંધવામાં આવ્યું છે એ મુજબ, બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીની અધ્યક્ષતામાં લંડનમાં દશેરા નિમિત્તે ૨૪ ઓક્ટોબર ૧૯૦૯ના રોજ હિંદીઓના યોજાયેલા સ્નેહમિલનમાં વિનાયક દામોદર સાવરકર મુખ્ય વક્તા હતા. આ સમારંભમાં અસફ અલી અને ટી.એસ. રાજન પણ ઉપસ્થિત હતા. સાવરકરનું અધિકૃત જીવનચરિત્ર લખનારા ધનંજય કીર દર્શાવે છે કે ૧૯૦૬થી ૧૯૦૯ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના પ્રશ્ને નામાંકિત એવા બેરિસ્ટર ગાંધી લંડન આવતા ત્યારે સાવરકર એમની સાથે ભારતીય પ્રશ્નોની ચર્ચા કરતા હતા. આમ છતાં, બંને મહાનુભાવોની જાહેર મુલાકાત નઝિમુદ્દીનના રેસ્તરાંમાં ૨૪ ઓક્ટોબર ૧૯૦૯ના રોજ યોજાયેલા ભોજન મેળાવડામાં થઇ અને એની જ સવિશેષ ચર્ચા રહી. દક્ષિણ આફ્રિકાથી પધારેલા મશહૂર બેરિસ્ટર અને વિલાયતી પોશાકમાં સજ્જ ગાંધીજીના પ્રમુખપદે આ સમારંભ યોજાયો. હજુ મે ૧૯૦૯માં જ બેરિસ્ટર થયા છતાં એ સન્માનથી વંચિત કરાયેલા ક્રાંતિકારી સાવરકરના વ્યાખ્યાનને સાંભળવા માટે ભારતીય ડોકટર,વકીલ અને અન્ય નામાંકિત મહાનુભાવો ઉમટ્યા હતા.સાવરકરના ભાષણથી ગાંધીજી પ્રભાવિત થયા હોવાનું એમણે કબૂલ્યું હતું. આ મેળાવડામાં સાવરકરે અત્યાચાર, આક્રમણ અને અન્યાયના પ્રતીક સમા રાવણનો વધ કરીને જ શ્રીરામે રામરાજ્ય પ્રસ્થાપિત કર્યું હતું,” એવું ભારપૂર્વક જણાવીને વધુમાં કહ્યું હતું: હિંદુ એ હિંદુસ્થાનનું હૃદય છે. પરંતુ જે રીતે ઇન્દ્રધનુષ્યની રમણીયતા એના વિવિધ રંગોથી ઓછી થવાને બદલે વધુ ઝગારા મારે છે, એ મુજબ મુસ્લિમ, પારસી, યહૂદી વગેરે વિવિધ સંસ્કૃતિમાં જે શ્રેષ્ઠ છે એ સર્વને પોતાનામાં સમાવીને હિંદભૂના આકાશનું સૌદર્ય વધુ ખીલી ઊઠે છે.સાવરકરના પોણા કલાકના ભાષણ પછી અધ્યક્ષ ગાંધીએ કહ્યું કે સાવરકરના ભાષણ પર ધ્યાન આપો અને એમના નિવેદનને બધા લોકો આત્મસાત કરે.” (સાવરકર સમગ્ર ખંડ:૧ પૃષ્ઠ:૬૧૨) બંને જન્મે હિંદુ હતા. ગાંધીજી આસ્તિક, પણ સાવરકર નાસ્તિક હતા. કીર નોંધે છે કે બંનેના (સ્વાતંત્ર્ય મેળવવાના) માર્ગ નોખા હોવા ઉપરાંત બંને વચ્ચે અનેકવાર ચર્ચા થતી રહી હતી. ગાંધીજીએ ૧૯૦૯ના અંતમાં દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં વહાણમાં જ બંને હાથે ગુજરાતીમાં હિંદ સ્વરાજલખ્યું અને એને પોતાના સામાયિક ઇન્ડિયન ઓપિનિયનમાં હપ્તાવાર પ્રકાશિત પણ કર્યું હતું. ગાંધી-સાવરકર  વચ્ચે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના નોખા  માર્ગ અપનાવવાનું અગાઉથી નક્કી થઇ ગયું હતું, છતાં સંવાદ તૂટ્યો નહોતો.
છેલ્લી જાહેર મુલાકાત
ગાંધીજી જાન્યુઆરી ૧૯૧૫માં ભારત પાછા આવ્યા. સાવરકરને કાળાપાણીની સજા માટે આંદામાનની સેલ્યુલર જેલમાં પાઠવાયેલા હતા અને કોંગ્રેસે પણ તેમને છોડી મૂકવા માટે માંગણી કરતો ઠરાવ કર્યો હતો. વર્ષ ૧૯૨૦માં લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, વીર વિઠ્ઠલભાઈ પટેલે કોંગ્રેસના મંચ પરથી સાવરકરની જેલમુક્તિની માંગણી કરી હતી. આજકાલ જે લોકો સાવરકરનાં અંગ્રેજ સરકાર સમક્ષનાં માફીનામાંની ચર્ચા કરે છે તેઓ અનુકૂળતાએ કોંગ્રેસના પેલા ઠરાવને વિસારે પાડે છે. માર્ચ ૧૯૨૪માં આંદામાનથી છૂટીને રત્નાગિરીમાં, નિર્ધારિત શરતો મુજબ રહેવાની સરકારી પરવાનગી મુજબ, આવી સાવરકર વસ્યા. ૧ માર્ચ ૧૯૨૭ના રોજ એમના ઘરે ગાંધીજીની મુલાકાત થઇ એ છેલ્લી મુલાકાત બની રહી હતી. જોકે આ મુલાકાત ખૂબ સૌહાર્દપૂર્ણ રહી હતી. બંને વચ્ચે આઝાદી મેળવવાના માર્ગ અંગે મતભેદ હતા, પણ અંગ્રેજો ભારતમાંથી જાય એ લક્ષ્ય બંનેનું એકસમાન હતું. નવજીવનના ૧૩ માર્ચ ૧૯૨૭ના અંકમાં સાવરકર બીમાર હતા ત્યારે તેમને મળવા ગાંધીજી જઈ આવ્યા હતાએ વાર્તાલાપની નોંધ મહાદેવ દેસાઈના મહારાષ્ટ્રનો પત્રતરીકે પ્રકાશિત કરાઈ છે. આ નોંધમાં  “આંદામાનમાં તપશ્ચર્યા કરી આવેલા ભાઈ સાવરકરતરીકે ઉલ્લેખ મળે છે. ગાંધીજીનો અક્ષરદેહના ૩૩મા ખંડમાં ગાંધીજી-સાવરકર વચ્ચેના વાર્તાલાપમાં નોંધવામાં આવ્યું છે: અસ્પૃશ્યતા અને શુદ્ધિ વિશેના ગાંધીજીના વિચારોનું છાપામાં આવતું વિપરીત સ્વરૂપ ફેડવાની અહીં તેમને તક મળી.પણ વધારે ચર્ચાને માટે તેમણે ભાઈ સાવરકરને પત્રવ્યવહાર કરવા વિનંતી કરી.” “સત્યના ચાહનારા તરીકે, સત્યને માટે મરણ પર્યંત લડનાર તરીકે તમારે માટે મને કેટલો આદર છે તે તમે જાણો છો.આખરે આપણું બંનેનું ધ્યેય તો એક જ છે,” એવો મત વ્યક્ત કરતાં ગાંધીજી તો અગાઉથી નક્કી કાર્યક્રમ ના હોત તો બેત્રણ દહાડા રત્નાગિરીમાં સાવરકર સાથે ચર્ચા માટે રહેવા તૈયાર હોવાનું પણ જણાવે છે. ૧૮ વર્ષ પછી ગાંધીજી અને સાવરકરની આ મુલાકાત યોજાઈ હતી. કીર તો કહે છે કે મહાત્મા રત્નાગિરીને મુલાકાતે જાય ત્યારે ત્યાંની પાલિકા અને જનતા તરફથી તેમનું જાહેર અભિવાદન કરવાનું વિચારાયું હતું, પણ સાવરકરની અનિચ્છાને કારણે એ માંડી વાળવામાં આવ્યું હતું. અતિઉત્સાહી ગાંધીવાદીઓએ સાવરકર વિશે ગાંધીજીના મનમાં વિષ ઘોળવાનો પ્રયાસ પણ કર્યો હતો છતાં સ્વયં ગાંધીજીએ બીમાર સાવરકરને ઘેર જવાનું નક્કી કરીને ઘણાને અચંબિત કરી દીધા હતા.
ટિળકના અનુયાયી ગાંધી
મહાત્મા ગાંધીનો રત્નાગિરીમાં મુખ્ય કાર્યક્રમ તો મહિલાઓના સંમેલનને સંબોધવાનો હતો. પોતાને  રત્નાગિરી જિલ્લામાં જન્મેલા લોકમાન્ય ટિળકના સૌથી ચડિયાતા અનુયાયી તરીકે લેખાવતાં મહાત્મા ગાંધીએ  ટિળકના સ્વરાજમંત્રને સાકાર કરવાની દિશામાં પોતાનું કર્તવ્ય બજાવવા કૃતસંકલ્પ ગણાવ્યા હતા.ગરીબને માટે સ્વરાજ મેળવ્યા વિના સ્વરાજ નથી અને ગરીબને પેટપૂરતું અન્ન મેળવી આપ્યા વિના તેમના સ્વરાજનો અર્થ નથી, એવું પણ તેમણે જણાવ્યું હતું. ગોરક્ષા, રેંટિયો અને હિંદુ-મુસ્લિમ એકતા તેમ જ શુદ્ધિ જેવા મુદ્દે પણ ગાંધીજીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહાત્માએ લોકોનાં દિલ જીતી લેતાં કહ્યું હતું :  “રત્નાગિરી ટિળકનું જન્મગ્રામ હોવાથી તીર્થક્ષેત્રનું માહાત્મ્ય ધરાવે છે અને વીર સાવરકરનું વાસ્તવ્યસ્થાન પણ છે. ઈંગ્લેન્ડમાં સાવરકર અને મારો ગાઢ પરિચય થયો એમનો ત્યાગ અને દેશભક્તિ જગજાહેર છે.એટલે અમારી બંનેની વચ્ચે મતભેદ ભલે હોય પણ પ્રેમમાં કોઈ ઉણપ આવી નથી. મતભેદને રખે કોઈ શત્રુતા સમજી બેસેગાંધીજીનો પોતાના માટે આવો ભાવ સાંભળીને, તાવ હોવા છતાં, ચિઠ્ઠી મોકલીને મહાત્માને પોતાને ઘેર આવવા સ્વાતંત્ર્યવીરે નિમંત્રણ પાઠવ્યું અને ગાંધીજી આવ્યા પણ ખરા. બંને વચ્ચે શુદ્ધિ અંગે અને હિંદુ ધર્મ વિશે વિષદ ચર્ચા થઇ અને કીરે એ સંવાદ વિસ્તૃત રીતે મૂક્યો છે. બંને વચ્ચેની મુલાકાત ખુશનુમા વાતાવરણમાં યોજાઈ. સાવરકર બીમાર હોવા છતાં બંને ખૂબ હસ્યા પણ ખરા.બંને મહાનુભાવોની આ છેલ્લી મુલાકાત હોવા ઉપરાંત મતભેદ ધરાવતા હોવા છતાં પારસ્પરિક માન સાથેની એ મુલાકાત વિરાટ વ્યક્તિત્વોનો પરિચય જરૂર કરાવી જાય છે.
તિખારો
દેશ રસાતલ કો જા પહુંચા,
          સ્વતંત્રતા કા  મહલ જલા.
પરાકીયોં ને ધાવા બોલા,
          ઉઠો, તુમ્હેં લૂટતે  ચલા!
બાડ તોડકર ઘુસા આ ગયા,
         ટિડ્ડી દલ સા હમલા આયા.
મરે-મરે-સે  ક્યોં બૈઠે હો,
          સ્વતંત્રતા કો લૂટ લે ગયા.
-     વિ.દા. સાવરકર